સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરત જિલ્લા ના પલસાણા વિસ્તાર મા નવા વર્ષનો દિવસ શ્રમિકો માટે ગોઝારો બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. આજે નવા વર્ષના દિવસે જ મોટી દુર્ઘટના બની હતી. પલસાણા તાલુકાના બલેશ્વર નજીક આવેલી કિરણ ઇન્ડસ્ટ્રીઝ મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળાઈ જવાના કારણે મોત નિપજ્યા છે. કામરેજ ઇ.આર.સી ફાયર અને બારડોલી ફાયર ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ઘરી છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ નજીક કિરણ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાં ચાર શ્રમિકોના મોત થયાં હતાં. મિલમાં બનાવામાં આવેલ ઉંડી ટાંકીમાં આજરોજ ચાર જેટલા શ્રમિકો સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન તેઓને ગુંગળામણ થઈ હતી. જેને પગલે બારડોલી ફાયર વિભાગ અને કામરેજ ERC ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ ઊંડી ટાંકીમાં ઉતરી શ્રમિકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન ચારેય શ્રમિકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. રાજેશ, કમલેશ, સેહનવાઝ અને દિપક નામના ચાર કામદારોના મોત થયાનું બહાર આવ્યું છે.
દૂષિત પાણીને શુદ્ધ કરવાની ટાંકી સાફ કરવા પ્રથમ બે કામદારો ઉતર્યા હતા. લાંબા સમય સુધી તેઓ બહાર નહીં આવતા અન્ય બે કામદારો અંદર જોવા જતા તેઓ ઓણ ગૂંગળામણને લીધે મોતને ભેટ્યા હતા. હાલ ચારેયના મૃતદેહને પીએમ અર્થે મોકલી અપાયાં છે. તેમજ કડોદરા પલસાણા પોલીસ પણ ઘટના સ્થળે પોહચી મિલમાં સેફટી માટે કયા પ્રકારની સુવિધાઓ હતી એ તમામ બાબતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે