સમય ક્રાંતિ ન્યૂઝ..
બેંગલુરુની એક વિશેષ અદાલતે 27 સપ્ટેમ્બરે નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. નાણામંત્રી પર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા જબરજસ્તી વસૂલાતનો આરોપ છે. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના આદર્શ અય્યરે બેંગલુરુમાં ફરિયાદ દાખલ કરીને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે પગલાં લેવાના નિર્દેશોની માંગણી કરી હતી. આ અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી. કોર્ટે બેંગલુરુના તિલક નગર પોલીસ સ્ટેશનને FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આગામી સુનાવણી 10 ઓક્ટોબરે થશે.
જનઅધિકાર સંઘર્ષ પરિષદે એપ્રિલમાં 42મી ACMM કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ED અધિકારીઓ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, ભાજપના કર્ણાટકના તત્કાલીન અધ્યક્ષ નલિન કુમાર કટિલ, BY વિજયેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2019 થી ઓગસ્ટ 2022 સુધીમાં, ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની પેઢી પાસેથી અંદાજે 230 કરોડ રૂપિયા અને અરબિંદો ફાર્મસીમાંથી 49 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ દ્વારા વસૂલવામાં આવ્યા હતા. અહીં આ સમાચાર સામે આવ્યા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કેન્દ્રીય નાણામંત્રીના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું કે કર્ણાટક ભાજપના નેતાઓ સીતારમણના રાજીનામા માટે ક્યારે પ્રદર્શન અને કૂચ કરશે? જો નિષ્પક્ષ તપાસ થાય તો પીએમ મોદી અને કુમારસ્વામીએ પણ રાજીનામું આપવું જોઈએ.
જણાવી દઈએ કે 15 ફેબ્રુઆરી 2024 ના રોજ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક અસરથી રાજકીય ભંડોળ માટે ચૂંટણી બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ યોજના ગેરબંધારણીય છે. બોન્ડની ગુપ્તતા જાળવવી એ ગેરબંધારણીય છે. આ યોજના માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. કોર્ટે SBI અને ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત સંપૂર્ણ ડેટા સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો હતો.
લોકસભા ચૂંટણી પહેલા નાણામંત્રીએ બોન્ડ સ્કીમ પાછી લાવવાના સંકેત આપ્યા હતા. નિર્મલા સીતારમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો અમે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પાછી લાવીશું. આ માટે પહેલા મોટા પાયા પર સૂચનો લેવામાં આવશે. જો કે તેમના નિવેદન પર કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ કહ્યું હતું કે હવે બીજેપી જનતાને વધુ કેટલું લૂંટવા માંગે છે