સમય ક્રાંતિ ન્યૂઝ..
ડાકોર નગરમાં ઉમરેઠ રોડ પર ભવન્સ કોલેજ સામે શેઢી નદીના કિનારે આવેલ શનિદેવ મંદિરમાં પખવાડિયા પહેલા મૂર્તિ ખંડિત કરી દાનપેટી તેમજ ઘંટની ચોરી અને મંદિર પરિસરમાં આવેલ પવિત્ર પીપળાનું ઝાડ કાપી નાખવાની ચકચારી ઘટનામાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. આ કૃત્ય મંદિરમાં રહી સાફ સફાઈનું કામ કરનાર દાહોદના બારીયાના એક વૃદ્ધને દ્વારા કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો શ્રમિકને ટ્રસ્ટીઓ દ્વારા ઓછું મહેનતાણું અપાતું હોવાના કારણે આ બિનાને અંજામ આપ્યો હોવાનું પોલીસને જણાવ્યું છે.
19 સપ્ટેમ્બરે ડાકોર નગરમાં ઉમરેઠ રોડ પર ભવન્સ કોલેજ સામે અને પુલ્હાઆશ્રમ આશ્રમ પાસે શેઢી નદીના કિનારે આવેલ પૌરાણિક શનિદેવનું મંદિરમાં મૂર્તિ ખંડિત કરી દાન પેટી તેમજ ઘંટની ચોરી અને મંદિર પરિસરમાં આવેલ પીપળાના ઝાડને કાપી નાખવાનો બનાવ સામે આવ્યો હતો. જેને પગલે ડાકોર નગર તેમજ પંથકમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. દરમિયાન આ ચકચારી બનાવની જાણના પગલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા તેમજ એલસીબી અને એસઓજી પોલીસ ટીમ ત્યાં દોડી ગઇ છે અને પોલીસે આ ચકચારી બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી આ કૃત્ય કરનારને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.