સમય ક્રાંતિ ન્યૂઝ..
પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ. ની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (FAL), જે એક C-295 એરક્રાફ્ટ ફેસિલિટી છે, તેનું ઉદ્ઘાટન કરશે. ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ, ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ (સંરક્ષણ સંસાધનોનું ઉત્પાદન) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે. વધુમાં, આ કાર્યક્રમ ભારત અને સ્પેન વચ્ચેના સંબંધોને પણ વધુ મજબૂત બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટીનું ભૂમિપૂજન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર, 2022માં કરવામાં આવ્યું હતું, અને હવે 24 મહિનાના સમયગાળામાં તેઓ આ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
સપ્ટેમ્બર 2021માં ભારતે ભારતીય વાયુસેના (IAF) ના જૂના AVRO એરક્રાફટના કાફલાને બદલવા માટે 56 C-295 એરક્રાફ્ટ્સના અધિગ્રહણ માટેની ઔપચારિકતા હાથ ધરી હતી. કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ હેઠળ, એરબસ પ્રથમ 16 એરક્રાફ્ટ્સને ‘ફ્લાય-અવે’ સ્થિતિમાં ડિલિવર કરશે.
C-295 પ્રોગ્રામ એ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ભારતના ખાનગી ક્ષેત્રનો પ્રથમ એરોસ્પેસ પ્રોજેક્ટ છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી ભારતીય વાયુસેના (IAF) માટે સ્વદેશી ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટ્સથી સજ્જ 40 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે અને તેમને એસેમ્બલ કરશે. આમાંનું પ્રથમ મેડ-ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ સપ્ટેમ્બર 2026 સુધીમાં બનીને તૈયાર થઈ જશે તેવો અંદાજ છે, જ્યારે ફાઇનલ એરક્રાફ્ટની ડિલિવરી ઓગસ્ટ 2031 સુધીમાં થવાનો અંદાજ છે.વડોદરામાં જે C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે, તે 5-10 ટનની ક્ષમતા ધરાવતું બહુમુખી મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (સૈન્ય પરિવહન વિમાન) છે, જે 71 ટ્રુપ્સ અથવા 49-50 પેરાટ્રૂપર્સને લઈ જવા માટે સક્ષમ છે. આ એરક્રાફ્ટની વ્યૂહાત્મક ડિઝાઇન અને રિયર રેમ્પ દરવાજાના કારણે ટુકડી અને કાર્ગો ઝડપથી તહેનાત થઈ શકે છે, જે તેને ભારતીય વાયુસેના માટે ખૂબ મહત્વૂર્ણ બનાવે છે. આ ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ ભારતના એરોસ્પેસ ક્ષેત્રમાં એક નવો અધ્યાય સાબિત થશે, કારણ કે પ્રથમ વખત કોઈ એરક્રાફ્ટનું સંપૂર્ણ ઉત્પાદન ભારતીય ખાનગી ક્ષેત્રમાં કરવામાં આવશે.