ગુજકોમાસોલની બોર્ડ બેઠકમાં પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપી સૌને આ કાર્યમાં જોડાવવા આહવાન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..
ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ)ની ગાંધીનગર સ્થિત વડી કચેરીની મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના ચેરમેનશ્રી દિલીપ સંઘાણી, વાઈસ ચેરમેનશ્રી બિપીનભાઈ પટેલ (ગોતા) અને સી.ઈ.ઓ. શ્રી દિનેશભાઈ સુથારે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કર્યું હતું.
સરદાર જયંતિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ રાજ્યપાલશ્રીએ કચેરીની મુલાકાત લઈ કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. રાજ્યપાલશ્રીએ ગુજકોમાસોલની બોર્ડ બેઠકમાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપી સૌને આ કાર્યમાં જોડાવવા આહવાન કર્યું હતું. વધુમાં ગુજકોમાસોલની પ્રગતિ બદલ આનંદની લાગણી વ્યક્ત કરી ચેરમેનશ્રી, વાઈસ ચેરમેનશ્રી તથા બોર્ડના સભ્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
સ્વાગત પ્રવચનમાં ચેરમેનશ્રી દિલીપ સંઘાણીએ રાજ્યપાલશ્રીનું શાબ્દિક સ્વાગત કરી સંસ્થાની પ્રવૃત્તિ વિશે તેમજ ભાવિ આયોજન વિશે માહિતગાર કર્યા હતા.
પોતાના અત્યંત વ્યસ્ત સમયપત્રક વચ્ચે સંસ્થાની મુલાકાત લઈ કર્મચારીઓનો ઉત્સાહ વધારવા બદલ અને બોર્ડને માર્ગદર્શન આપવા બદલ રાજ્યપાલશ્રીનો વાઈસ ચેરમેનશ્રીએ સંસ્થા વતી આભાર વ્યક્ત કર્યો હતો.