ખેડૂતોના હિત માટે સરકારશ્રી દ્વારા બજેટમાં ત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા: તાપી જિલ્લામાં દશેરાના દિવસે જ દિવાળી જેવો માહોલ :પ્રભારીમંત્રી શ્રી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ
તાપી જિલ્લાના પ્રભારી અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતી રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ વ્યારા સુગર ફેક્ટરીનું બોઇલર પ્રજ્વલિત કરી સુગર ફેક્ટરીની શુભ શરૂઆત કરાવી
આસપાસની સૂગર ફેક્ટરીઓના સાથ સહકારથી લગભગ ચાર લાખ ટન શેરડીનું ક્રશીંગ અહી થશે : પ્રમુખ શ્રી માનસિંહભાઇ પટેલ
સુગર ફેક્ટરીના માધ્યમ થકી સમગ્ર તાપી જિલ્લા અને ખેડૂતોનો વિકાસ થાય તેવી કામના વ્યક્ત કરતા મંત્રીશ્રીઓ
તાપી…દશેરાના પાવન પર્વના દિવસે તાપી જિલ્લાના પ્રભારી અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ, આજે તાપી જિલ્લાના ખુશાલપુરા (વ્યારા) ખાતેની સુગર ફેકટરીના બોઇલરને પ્રજ્વલિત કરી સુગર ફેક્ટરીની શુભ શરૂઆત કરાવી હતી.
આ પ્રસંગે પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૮ વર્ષથી બંધ સૂગર ફેક્ટરી, તાપી જિલ્લાના ખેડૂતો માટે વિકટ પ્રશ્ન હતો. જે અંગે મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કરી, આ સમસ્યાને ઓળખી ખેડૂતોના હિત માટે સરકારશ્રી દ્વારા બજેટમાં ત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ત્યારે આજે દશેરાના શુભ દિવસે બોઇલર પ્રજ્વલિત કરી સૂગર ફેકટરીની શરૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ૨૫ હજાર એકર જેટલી શેરડીનું વાવેતર સૂગર ફેક્ટરીમાં નોધાંયુ છે. હવે તાપી જિલ્લાના ખેડૂતોએ અન્ય જગ્યાએ જઇ શેરડી વેચવાની જરૂર નહીં પડે, અને તેમને ઘરબેઠા પોષણક્ષમ ભાવ પણ મળી રહેશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આજે સમગ્ર તાપી જિલ્લાની જનતા આ સુગર ફરી શરૂ થતા, દશેરાના દિવસે જ દિવાળી ઉજવી રહી હોય તેવી ખુશી વ્યક્ત કરી રહી છે.
સૂગરના પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલે સુગર ફેક્ટરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુગર ફેક્ટરીને શરુ કરવા માટે સરકારશ્રી દ્વારા ત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હયાત ફેક્ટરીમાં ૨૨ હજાર એકર શેરડી નોંધાયેલી છે. જેમાંથી ૬ લાખ ટન શેરડી મળશે. આસપાસની સૂગર ફેક્ટરીઓના સાથ સહકારથી લગભગ ચાર લાખ ટન જેટલી શેરડીનું ક્રશીંગ અહી થશે. જેનાથી આસપાસના વિસ્તારના ખેડૂતોને આ સૂગર ફેક્ટરીનો ચોક્કસ ફાયદો થશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી નવેમ્બર માસમા આ ફેક્ટરીનો વિધિવત શુભારંભ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. આ સુગર ફેક્ટરી આવનાર સમયમાં સફળતાપૂર્વક કાર્યરત રહે તેવા અમારા સૌ સભાસદોના, અને તમામ ચેરમેનશ્રીઓના પ્રયાસ રહેશે.
મંત્રીશ્રીઓએ ઉપસ્થિત સૌ સભાસદો સાથે ફેક્ટરી સાઇટની મુલાકાત લઇ સાધન સામગ્રીઓનું સ્વમુલ્યાંકન કર્યું હતું, અને ફેક્ટરી સાઇટ ખાતે સત્યનારાયણ ભગવાનની પૂજામાં પણ સહભાગી થઇ, સુગર ફેક્ટરીના માધ્યમ થકી સમગ્ર તાપી જિલ્લા અને ખેડૂતોનો વિકાસ થાય તેવી કામના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઈ ગામીત સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ તથા અન્ય કમીટી મેમ્બર્સ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.