સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરત રિંગરોડ પર આવેલ હરીઓમ માર્કેટમાં ક્રીન્ના કલેકશનના માલીક પુરોહિત દંપતીએ શહેરના વિવિધ વેપારીઅો પાસેથી લાખ્ખો રૂપિયાનો દુપટ્ટાનો માલ ખરીદી કર્યો હતો. આ માલ ખરીદી કરી પૈસા ચુકવવામાં ઠાગાઠૈયા કરી આખરે ઠગબાજ દંપતી દુકાન બંધ કરી પલાયન થઇ ગયું હતું. જેથી ભોગ બનનાર વેપારીઓએ આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 96 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અનેક વેપારીઓના પૈસા ફસાયા હોવાના કારણે આગામી દિવસોમાં ઠગાઇનો આંકડો વધવાની શક્યતા સેવાઈ રહી છે.
અડાજણ એલ.પી.સવાણી રોડ રૂતુરાજ રો હાઉસમાં રહેતા અને હરીઅોમ માર્કેટમાં આર.કે ટેક્ષટાઈલના નામથી હરીઅઓમ માર્કેટમાં દુપટ્ટાના કાપડનો વેપાર કરતા ૨૯ વર્ષીય મનીષ રમેશબાઈ રાઈસીંઘાનીપાસેથી ગત તા ૮ જુન ૨૦૨૩ થી ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં હરીઅોમ માર્કેટમાં જ ક્રિષ્ના કલેકશનના નામથી ધંધો કરતા મફતલાલ સમર્થરામજી પુરોહિત અને તેમની પત્ની સૌરમદેવીએ કુલ રૂપિયા ૧૭,૧૯,૭૭૮નો દુપટ્ટાનો માલ ખરીદ્યો હતો. જેમાંથી તેઓએ ૬,૪૨,૮૬૬નું પેમેન્ટ ચુકવી બાકીના રૂપિયા ૧૦,૭૬,૯૧૨ ચુકવ્યા ન હતા. મનીષભાઈ દ્વારા પેમેન્ટની ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા વાયદાઅો આપ્યા બાદ દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. મનીષભાઈએ માર્કેટમાં તપાસ કરતા પુરોહિત દંપતીના ઉઠમણાંં તેમના ઉપરાંત અન્ય નવ વેપારીઅો પાસેથી ૮૪,૬૯,૬૧૯નો માલ ખરીદ્યો હતો. આમ પુરોહિત દંપતીએ કુલ ૧૦ વેપારીઅો પાસેથી કુલ રૂપિયા ૯૫,૪૬,૫૩૧નો દુપટ્ટાનો માલ ખરીદી દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે મનીષની ફરિયાદ લઈ પુરોહિત દંપતી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.