સમય ક્રાંતિ ન્યૂઝ..
મહાશિવરાત્રી ને લઇ ને શિવ મંદિરો માં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તાપી જિલ્લાના આવેલા બાલપુર ગામે સાક્ષાત દેવોના દેવ મહાદેવ કર્દમેશ્વર મહાદેવના મંદિરે સ્વયંભૂ બિરાજમાન છે. આ મંદિરનું શિવલિંગ ત્રેતાયુગથી અહીં છે અને કર્દમેશ્વર મહાદેવના દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. મહાશિવરાત્રીના દિવસે લોકો મોટી સઁખ્યાં માં અહીં દર્શન માટે આવે છે.
તાપી જિલ્લાના બાલપુર ગામે બિરાજેલા કર્દમેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં સાક્ષાત દેવોના દેવ મહાદેવ ત્રેતાયુગથી અહીં બિરાજમાન છે. જેનો ઉલ્લેખ પવિત્ર રામાયણ , મહાભારત તેમજ તાપી પુરાણમા પણ છે. આ અંગે મંદિર ના પૂજારી બ્રહ્મરિશી મહારાજ કહે છે કે મંદિર સાથે આમ તો ઘણી દંતકથાઓ જોડાયેલી છે પરંતુ એવું કહેવામાં આવે છે કે ત્રેતાયુગમાં શ્રી કદમ મુનિએ મહાદેવને પ્રસન્ન કરવા તપ કર્યું હતું. જે તપ થી પ્રસન્ન થઈ શિવજીએ કદમ મુનિને પોતાની મનોકામના પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું.
કદમ મુનિએ શિવજી પાસે માનવ માત્ર તેમજ પ્રાણી માત્રના કલ્યાણ હેતુ શિવલિંગ સ્વરૂપે અહીં બિરાજમાન થવા જણાવ્યું હતું. ત્યારથી સાક્ષાત દેવોના દેવ મહાદેવ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે અહીં બિરાજમાન છે અને ભક્તો કર્દમેશ્વર મહાદેવના નામથી તેઓની પૂજા અર્ચના કરે છે. અને અહીં બિરાજેલા મહાદેવ દરેક ભક્તોની મનો કામના પૂર્ણ કરે છે.
સુરત જિલ્લામાં પાંચ મહાદેવના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી દર્શન કરવાથી મનોકામનાપૂર્તિની દંતકથા પણ છે
કર્દમેશ્વર મહાદેવ મંદિર સાથે બીજી પણ એક એવી દંત કથા જોડાયેલી છે કે સુરતના એક રાજાએ સુરત જિલ્લામાં આવેલા પાંચ મહાદેવ કે જેઓને પાંચ ભાઈઓ કહેવામાં આવે છે. જેમાં કેદારેશ્વર મહાદેવ , કણકેશ્વર મહાદેવ, કપિલેશ્વર મહાદેવ , કંતારેશ્વર મહાદેવ અને કર્દમેશ્વર મહાદેવ આ પાંચેય ભાઈઓની સૂર્યોદયથી સૂર્યાસ્થ સુધીમાં દર્શન કરીને રાજાની મનોકામના પૂર્ણ થઈ હતી. જે પ્રથા અનુસાર શિવભક્તો આજે પણ આ પાંચેય ભાઈઓના દર્શન કરવાનું ચુકતા નથી .
ગરમ પાણીના કુંડમાં સ્નાનથી રોગો દુર થતા હોવાની માન્યતા
કર્દમેશ્વર મહાદેવનું મંદિર પૌરાણિક તો છે જ તેની સાથે મંદિરના બાજુમાં એક ગરમ પાણીનું કુંડ આવેલો છે જ્યાં શિવભક્તો સ્નાન કરે છે. અને એવું માનવામાં આવે છે કે આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી શારીરિક પીડાઓ દૂર થાય છે. તેજસ ચૌધરી કહે છે કે કર્દમેશ્વર મંદિરનું પોતાનું એક મહત્વ છે. અહીં આવી ને અમને શાંતિ લાગે છે. અને ગરમ પાણીમાં કુંડમાં શરીરના દરેક રોગોમાંથી મુક્તિ મળે છે.