સમય ક્રાંતિ ન્યૂઝ..
એક પખવાડિયા પૂર્વે કતારગામ ખાતે સેઈફ ડિપોઝીટ વોલ્ટમાંથી આઠ કરોડ રૂપિયાની ધોળે દિવસે લુંટની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સહજાનંદ કંપનીના કર્મચારીઓને બાનમાં લઈને ઈન્કમ ટેક્સ અધિકારીના સ્વાંગમાં ત્રાટકેલા લૂંટારૂને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ – અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસ દ્વારા ગણતરીનાં દિવસોમાં જ લૂંટની ઘટનામાં સંડોવાયેલા કંપનીમાં ફરજ બજાવતાં કર્મચારી સહિત અન્ય બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન માસ્ટર માઈન્ડ આરોપીએ શેર બજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થતાં લુંટનું નાટક રચ્યું હોવાનું જણાવ્યું છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગત 27મી ફેબ્રુઆરીનાં રોજ બપોરના સુમારે સહજાનંદ ટેક્નોલોજી પ્રા. લિ. કંપનીના કર્મચારીઓ કતારગામ સેઈફ ડિપોઝીટ વોલ્ટમાંથી આઠ કરોડ રૂપિયા ઉપાડીને મહિધરપુરા સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં મુકવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર એક અજાણ્યો ઈસમ ઈન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપીને બંદુકની અણીએ ગાડીમાંસ વાર થઈ ગયો હતો. ઈન્કમ ટેક્સ ઓફિસરના સ્વાંગમાં આવેલા લૂંટારૂએ ગાડીમાં સવાર તમામ કર્મચારી અને ચાલકને બાનમાં લઈ અપહરણ કરી વરીયાવ બ્રિજના નાકા સુધી ચારેય કર્મચારીઓને ગાડીમાંથી ઉતારીને ગાડી લઈને નાસી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે ક્રાઈમ બ્રાંચ સહિત સ્થાનિક પોલીસના અધિકારીઓ – કર્મચારીઓ પણ તપાસમાં જોતરાયા હતા અને સીસીટીવી સહિત હ્યુમન – ઈન્ટેલીજન્સ સર્વેલન્સના આધારે રોહિત વિનુ ઠુમ્મરને ઝડપી પાડવામાં આવ્યો હતો. રોહિત ઠુમરની પોલીસ દ્વારા ઉલટ તપાસ હાથ ધરતાં તેણે આખે આખા લુંટના નાટકનો રહસ્યોદ્ઘાટન કરી દીધું હતું. તેણે જણાવ્યું હતું કે, લુંટ માટે તેનો કલ્પેશ પોપટ કસવાળા અને કંપનીમાં જ કામ કરતાં નરેન્દ્ર દુધાતે સંપર્ક કર્યો હતો અને આ કામ માટે તેને પાંચ લાખ રૂપિયા પણ આપ્યા હતા.
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં પ્રારંભથી જ નરેન્દ્ર દુધાત પર આશંકાના વાદળો ઘેરાયા હતા. શરૂઆતમાં ગોળ – ગોળ જવાબો આપનાર નરેન્દ્ર દુધાત અંતે પડી ભાગ્યો હતો અને પોલીસ સમક્ષ લુંટ અંગેની સારી હકીકત વર્ણવી દીધી હતી. શેર બજારમાં કરોડો રૂપિયાનું ઉઠમણું કરવાને કારણે તેણે લુંટનું નાટક રચ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
થેલામાં રોકડ રકમને બદલે કાગળના બંડલો ભરવામાં આવ્યા હતા
ક્રાઈમ બ્રાંચથી માંડીને કતારગામ પોલીસની ઉંઘ ઉડાવનાર આઠ કરોડની લૂંટ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ દ્વારા શરૂઆતથી જ પુછપરછ દરમિયાન પોલીસને ગોથે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પ્રારંભિક પુછપરછમાં નરેન્દ્ર દુધાત ટસનો મસ થયો ન હતો પરંતુ અંતે તે તુટી પડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, કંપનીમાંથી તેણે આઠેક કરોડ રૂપિયા અગાઉથી જ વાપરી નાખ્યા હતા અને તેને કારણે આ લુંટનું નાટક રચ્યું હતું. જેના ભાગરૂપે તેણે કતારગામ સેફ વોલ્ટમાં લોકરમાંથી રોકડ રકમ મહિધરપુરા સેફ વોલ્ટમાં ટ્રાન્સફર કરવાના બ્હાને વાનમાં રોકડ રકમની જગ્યાએ કાગળના બંડલોવાળા થેલાઓ મુકવામાં આવ્યા હતા અને ત્યારબાદ બે મિત્રોના સહયોગથી લુંટનું નાટક રચ્યું હતું.
નરેન્દ્ર દુધાતે શેરબજારમાં પાંચ કરોડનું નુકસાન કર્યું હતું.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી આઠ કરોડની લૂંટમાં પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી નરેન્દ્ર દુધાત હોવાનું જાણવા મળ્યું છે. નરેન્દ્ર દુધાત સહજાનંદ કંપનીમાં છેલ્લા 22 વર્ષથી નોકરી કરતો હતો અને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં તેની પાંચ વર્ષ પહેલાં બદલી થઈ હતી. કંપનીના તમામ નાણાંકીય લેવડ – દેવડ અને ઉઘરાણીનો હિસાબ નરેન્દ્ર સંભાળતો હતો. જેને કારણે તેની પાસે મોટી રકમ હાથવગે રહેતી હતી. અલબત્ત, કંપનીના રૂપિયાથી કરોડપતિ થવાના સ્વપ્નમાં રાચતા નરેન્દ્ર દુધાતે પોતાના પરિચિતોના નામે ડીમેન્ટ એકાઉન્ટ ખોલીને પાંચેક વર્ષ પહેલાં પાંચ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું હતું.
2.25 કરોડ રૂપિયા ડિમેટ એકાઉન્ટમાં હોવાનો ઘટસ્ફોટ
છેલ્લા પાંચ – છ વર્ષથી ડબ્બા ટ્રેડિંગ અને શેર બજારના રવાડે ચઢેલા નરેન્દ્ર દુધાતે કંપનીમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. જો કે, આ રૂપિયાનો હિસાબ આપવો ન પડે તે માટે તેણે લુંટનો કારસો રચ્યો હતો. જેના માટે બે અન્ય સાથીઓને પણ લુંટના તરકટમાં નરેન્દ્ર દુધાતે શામેલ કર્યા હતા. અલબત્ત, પોલીસ તપાસને અંતે ઝડપાયેલા નરેન્દ્ર દુધાત પોપટની જેમ પોતાના કાળા કરતુત બોલવા લાગ્યો હતો. કંપનીમાંથી કરોડો રૂપિયાની હેરાફેરી બાદ હાલમાં તેના હસ્તક અલગ અલગ ડીમેટ એકાઉન્ટમાં અઢી કરોડ રૂપિયા જેટલી રકમ જમા હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે પોલીસ દ્વારા આ રકમની રિકવરી માટેની તજવીજ હાથ ધરી છે.