સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરતના વેસુ વિસ્તારમાં ગત 19 ફેબ્રુઆરીના રોજ મોડલ તાન્યાએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીઘું હતું. ત્યારે તાન્યા આપઘાત કેસમાં આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માનું નામ પણ સામે આવ્યું હતું. પરિણામે આજે અભિષેક નિવેદન નોંધાવા સુરત આવ્યો હતો. ત્રણથી ચાર કલાક સુધી ચાલેલી મેરેથોન પૂછપરછ બાદ અભિષેક કારમાં વેસુ પોલીસ મથકેથી રવાના થયા હતો. જોકે, મીડિયાના પ્રશ્નોને જવાબ આપવાનું ક્રિકેટર ટાળ્યું હતું.
અભિષેક શર્મા સવારે વેસુ પોલીસ મથકે પહોંચ્યો હતો
વેસુ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અભિષેક શર્મા સવારે 11 થી 12 કલાકની વચ્ચે વેસુ પોલીસ મથકે પહોંચ્યો હતો. અંદાજિત ત્રણથી ચાર કલાક સુધી અભિષેક શર્માના સુરત પોલીસ દ્વારા તાન્યા આપઘાત કેસ મામલે નિવેદન નોંધવામાં આવ્યા હતા. જેમાં તાન્યા અને પોતાની વચ્ચે રહેલી મિત્રતા અંગે અભિષેક દ્વારા તમામ માહિતી પોલીસને પોતાના નિવેદનમાં જણાવી હતી.
‘પુલીસને આજ મુઝે બુલાયા થા ઔર સ્ટેટમેન્ટ દેને કે લિયે મેં આયા હું”
ત્રણથી ચાર કલાક સુધી પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવ્યા બાદ તાન્યા આપઘાત કેસમાં મીડિયા દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપવાનો અભિષેક શર્માએ મોટાભાગે ટાળ્યું હતું. પરંતુ એક બે શબ્દોમાં અભિષેક શર્માએ મીડિયાના સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે ‘પુલીસને આજ મુઝે બુલાયા થા ઔર સ્ટેટમેન્ટ દેને કે લિયે મેં આજ આયા હું”. પુલીસ કો મૈને સારે સ્ટેટમેન્ટ દે દીયે હે, પુલીસ આપકો સ્ટેટમેન્ટ દે દેગી”. માત્ર ટૂંકા જવાબો આપી ક્રિકેટર અભિષેક શર્મા વેસુ પોલીસ મથકે ખાનગી કારમાં બેસી ત્યારબાદ રવાના થઈ ગયા હતા. જોકે પોલીસ મથકની અંદર મીડિયાના પ્રશ્નોથી બચવા અભિષેક શર્માએ કેમેરાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
મહત્વનું છે કે ગ્લેમરસ ગર્લ તાન્યા આપઘાત કેસ મામલે વેસુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આપઘાત કેસમાં પોલીસને હજી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ક્રિકેટર અભિષેક શર્માના નિવેદન બાદ આગામી દિવસોમાં સુરત પોલીસ આ મામલે કોઈ ખુલાસો કરે તેવી શક્યતા ચોક્કસથી દેખાઈ રહી છે. જોકે હાલ પોલીસ આ મામલે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી. ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં તાન્યાના આપઘાત પાછળ કોણ જવાબદાર છે અને હવે કઈ સત્ય હકીકત બહાર આવે છે.