સમય ક્રાંતિ ન્યૂઝ..
શહેરના રાંદેર વિસ્તારમાં નકલી ઘી બનાવવાની ફેકટરીનો પર્દાફાશ થયો છે. રાંદેરમાં ગોગા ચોક ખાતે આવેલ એક સોસાયટીમાં ભેળસેળ યુક્ત ઘી બનાવવાની ફેકટરી ધમધમતી હોવાની બાતમીને પગલે રાંદેર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દરોડાની કાર્યવાહી દરમિયાન સારોલી ખાતે રહેતા એક ઈસમને ઝડપી પાડીને 29 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરત શહેરમાં ગઈકાલે નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આજે સવારે નકલી ઘી બનાવવાની ફેકટરી ઝડપાઈ છે. રાંદેર ખાતે આવેલ ગોગા ચોક પાસે આવેલ સાંઈનાથ સોસાયટીમાં વાઘુ રબારીના મકાનમાં રાકેશ હરગોવન પટેલ નામના વ્યક્તિ દ્વારા ભેળસેળ યુક્ત ઘી બનાવવાનો ગોરખધંધો કરવામાં આવતો હતો. જે અંગે રાંદેર પોલીસમાં કાર્યરત અ.પો.કો. લાલજી વલ્લભાઈ અને અ.પો.કો. ઈશ્વર હીરાભાઈને બાતમી મળતાં પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રાજેશ પટેલ દ્વારા મકાનમાં રિફાઈન્ડ સોયાબીન તેલમાં હળદર અને ફ્લવેર્ડનું મિક્સીંગ કરીને નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું. જેના પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાવીને ધરાર બજારમાં વેચાણ કરવામાં આવતું હતું. હાલમાં આરોપી પાસેથી 225 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવાની સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.