સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયાના સમાચાર વહેતા થયા હતા, જો કે નિલેશ કુંભાણી તેમજ કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે ફોર્મ રદ્દ થયું નથી, પણ અમુક વાંધાઓ છે. ભાજપ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
મારા ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું – નિલેશ કુંભાણી
સુરત લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ રિટર્નિંગ ઓફિસરને એક પત્ર લખી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ન હોવાની રજૂઆત કરી હતી.
એક વાત એવી પણ સામે આવી છે કે નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં ટેકેદારો જે સહીઓ કરી છે તે નકલી સહીઓ છે. આ બાબતે રિટર્નિંગ ઓફિસરે નિલેશ કુંભાણી પાસે સ્પષ્ટતા માંગી છે.
બીજી બાજુ નિલેશ કુંભાણીએ એવો આક્ષેપ કર્યો કે તેમના ટેકેદારોના ફોન બંધ આવે છે અને તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. જેથી કરીને તેઓ અહીં હાજર ન રહી શકે.
નિલેશ કુંભાણીએ કહ્યું, “ભાજપ દ્વારા ટેકેદારોનું અપહરણ કરાયું છે. ટેકેદારોના ફોન બંધ કરી દેવાયા છે. રમેશભાઈ, જગદીશભાઈ અને ધીરૂભાઈનો સમ્પર્ક નથી થઈ રહ્યો. મને પણ મીડિયાના માધ્યમથી આ અંગે ખબર પડી છે. મારા ફોર્મમાં ટેકેદારોની ખોટી સહી થઈ હોવાનો આરોપ છે.”
3 ટેકેદારોની ખોટી સહી સામે વાંધો
રમેશભાઈ, જગદીશભાઈ અને ધીરૂભાઈની સહી સામે વાંધો ઉઠાવાયો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી ન કર્યાની ફરિયાદ કરી હતી. તેમના ટેકેદાર રાજેશ પાલરાએ કહ્યું કે, ફોર્મમાં મારી કોઇ સહી જ નથી.
કુંભાણીના ફોર્મ અંગે કાલે સવારે 11 વાગ્યે લેવાશે નર્ણય
નિલેશ કુંભાણીના ફોર્મ અંગે કોંગ્રેસ અને ભાજપ બંનેની દલીલો સાંભળ્યા બાદ કુંભાણીના ફોર્મ અંગે કાલે 21 એપ્રિલે સવારે 11 વાગ્યે નર્ણય લેવામાં આવશે.